સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૨૩/૦૩/૨૦૧૫ થી તા.૨૯/૦૩/૨૦૧૫
પ્રેસનોટ
ગઇ તા.૨૫/૧૨/૨૦૧૪ ના રોજ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના વીરમગામ તાલુકાના માંડલ ગામેથી દસાડા જી.સુરેન્દ્રનગર જતા રોડ ઉપર એક બજાજ મોટરસાઇકલ નંબર જી.જે.૦૧.એમ.એલ.૪૬૦૦ નો ચાલક તથા તેની પાછળ બેઠેલ અન્ય એક વ્યક્તિ ને પાછળથી એક ટવેરા જેવા વાહને ટક્કર મારેલ જે બનાવમાં મોટરસાઇકલ ચાલક શ્રી દિલીપભાઇ ભગવાનભાઇ પાવરા ઉ.વર્ષ. ૩૭ રહે. માંડલ જી.અમદાવાદ નું અમદાવાદ હોસ્પિટલે લઇ જતા દરમ્યાન અવસાન થયેલુ.
આ બનાવ બન્યા બાદ તેજ દિવસે રાત્રે એટલે કે, તા.૨૫/૧૨/૧૪ ના ક.૨૩/૩૦ વાગ્યે આ મરણજનાર શ્રી દિલીપભાઇ ના કુટુંબીજનો એ આ બનાવ અકસ્માતનો નહી પરંતુ સુનિયોજીત કાવત્રા દ્વારા કરવામાં આવેલ હત્યાનો હોવાની રજૂઆત કરતા આ બનાવ સંદર્ભે માંડલ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૩૫/૨૦૧૪ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૧૧૪ મુજબ નો ગુન્હો દાખલ કરવામાં આવેલો. આ કરાયેલ ફરિયાદ માં ભોગ બનનાર ના કુટુંબીજનોએ આ હત્યા તથા તેના કાવતરા કરનાર તરીકે માંડલ ગામનાજ તથા આ ભોગ બનનાર દિલીપભાઇ ના દસાડા રોડ પર આવેલ ’’ શક્તિ પેટ્રોલિયમ’’ ની અડોઅડ ’’રોયલ હોટલ’’ ધરાવતા અને અગાઉ ચોરી તથા અન્ય ગુન્હાઓમાં પકડાયેલ તથા તડીપાર થયેલ શખ્સ અબ્દુલ મહમદ ઘાંચી તેનો પુત્ર એઝાઝ અબ્દુલ ઘાંચી તથા તેના ભાણીયાનું નામ આપેલ હતુ.
આ બનાવની તપાસ શરૂઆતમાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી વીરમગામ ટાઉન નાઓએ કરેલી તથા ત્યારબાદ પોલીસ અધિક્ષકશ્રી, અમદાવાદ ગ્રામ્ય, શ્રી નિર્લિપ્ત રાય એ આ તપાસ તેઓના જીલ્લાની ’’સ્પેશિયલ ઓપરેશન ગૃપ ’’ ને સોંપેલી. બનાવ વહેલી સવારનો ક.૮/૦૦ વાગ્યાનો સમય હોય, તથા માંડલ-દસાડા રોડ પર સામાન્ય સ્થિતિમાં પણ ટ્રાફિક નહિવત જતો હોય, બનાવ નજરે જોનાર સાહેદો મળવાની શક્યતા ઘણીજ ઓછી બનવા પામેલી પરંતુ બનાવની જગ્યા, બનાવ બન્યો તે સ્થળેથી ૨૫ કિ.મી. દૂર સુધીના તમામ સ્થળોએ લાગેલા સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ, બાતમીદારોનું નેટવર્ક, મોબાઇલ કોલ ડિટેઇલ નું વિશ્લેષણ, બનાવ સમયે આરોપીઓની હાજરી, તેઓનું ત્યાર બાદનું વર્તન જેવી કેટલીય બાબતોને આવરી લઇ પોલીસ અધિક્ષકશ્રી ના માર્ગદર્શન તથા સીધા સૂપરવિઝન હેઠળ ઝીણવટ પૂર્વકની તપાસ શરુ કરવામાં આવેલી.
બનાવ બન્યાના ૧૪ દિવસ પછી પાટડી તાલુકાના ગેડીયા ગામેથી એક ટવેરા વાહન કે જે ગાડીના આગળના ભાગે રજિસ્ટ્રેશન નંબર જોતા જીજે-૧-એસકે-૮૨૩૨ લખેલ છે. જે નંબર પ્લેટ દુરથી જોતા જીજે-૧૫-કે-૮૨૩૨ વંચાય છે. તે આ અકસ્માત દ્વારા હત્યાના બનાવમાં સંડોવાયેલ હોવાની બાતમી આધારે ગેડીયા ગામેથી આ વાહન કબ્જે કરવામાં આવેલું. જેમાં પ્રાથમિક દ્રષ્ટીએજ આ વાહન દ્વારા અકસ્માત થયેલ હોવાનું જણાઇ આવતા એફ.એસ.એલ. દ્વારા આ વાહન આજ બનાવમાં સંડોવાયેલું છે કે કેમ? તેની ખાત્રી કરાવડાવતા આજ વાહન સંડોવાયેલ હોવાનું જણાઇ આવેલ, વધુ તપાસ દરમ્યાન આ વાહન બનાવના ૧૩ દિવસ અગાઉ પાટડી તાલુકાના બજાણા ગામેથી ચોરાયેલી હોવાનું અને પાટડી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૨/૧૪ આઇ.પી.સી. કલમ ૩૭૯ થી દાખલ થયેલ હોવાનું તથા તેનો ઓરીજીનલ નંબર આર.જે-૧૬-યુએ-૦૭૮૦ નો હોવાનું જણાઇ આવેલ.
ગેડીયા ગામ સુરેન્દ્રનગર જીલ્લાનું ગામ હોવા ઉપરાંત આ ગામના અમુક શખ્સો વીરમગામ ધ્રાગધ્રા તથા વીરમગામ સુરેન્દ્રનગર હાઇવે તથા અન્ય હાઇવે ઉપર રાત્રીના સમયે ચાલુ વાહને ભારવાહક ટ્રકોમાંથી તાડપત્રી કાપી તેમાંથી માલસામાનની ચોરી કરવાના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું તથા આ ગેંગ ચોરીનો માલ આ ગુન્હાના મુખ્ય શકદાર અબ્દુલ ધાંચી રહે. માંડલ ને જ વેચતા હોવાની માહિતી મળવા પામતા તથા આ પ્રકારના અન્ય ગુન્હાઓ પણ આ અબ્દુલ ધાંચી ની વિરૂદ્ધમાં દાખલ થયેલાનું જણાઇ આવતા પોલીસે તેની પુછપરછ કરવા માટે બોલાવવાનો પ્રયત્ન કરતા તે નાસી ગયેલો અને તે દરમ્યાન તેનો પુત્ર એઝાઝ ઉર્ફે અજ્જુ સ/ઓ અબ્દુલભાઇ ઘાંચી પકડાઇ જતા તેને આ ગુન્હાના કામે અટક કરવામાં આવેલો. ત્યાંરથી આજદિન સુધી આ અબ્દુલ તથા તેનો પુત્ર આરીફ આ ગુન્હામાં તેઓની સંડોવણી છતી થઇ જતા નાસતા ફરતા હતા.
આજરોજ આ બંન્ને પિતા-પુત્ર લાલ કલરનું હોન્ડા સાઇન મોટરસાઇકલ લઇ ને નીકળવાના છે. તેવી માહિતી આધારે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ની ટીમોએ શિલજ પાસે વોચ ગોઠવતા આ બંન્ને જણા પકડાઇ જવા પામેલા તેઓની પુછપરછ દરમ્યાન તેઓએ આ મૃતક દીલીપભાઇ તથા તેમના કુટુંબીઓ સાથે તેમણે પેટ્રોલપંપ લીધો ત્યાંરથીજ પેટ્રોલપંપ તથા હોટલ વચ્ચેના રસ્તા બાબતની તકરાર ચાલતી હોવાથી તથા આ તકરારો ને કારણે અવારનવાર નાના-મોટા ઝગડાઓ થતા હોવાથી આ અબ્દુલ ઘાંચી એ આ સમસ્યા નો કાયમી નિકાલ કરવાના હેતુ થી પોતાના પરિચિત અને ગેડીયા ની ગેંગના કુખ્યાત આરોપી વસીમખાન બીસ્મીલ્લાખાન જત્ત મલેક રહે. ગેડીયા તા.પાટડી ને વાત કરેલી અને જણાવેલ કે, ’’ આને ટક્કર મારીને મારી નાખીશ તોજ આ સમસ્યા દુર થશે.’’ તેમ કહી જો તે આ કામ માટે વાહન તથા ડ્રાઇવરની વ્યવસ્થા કરી આપશે તો પોતે પાંચલાખ રૂપિયા સુધીનો ખર્ચો કરવા તૈયાર છે. તેમ જણાવતા વસીમે તૈયારી બતાવેલી અને થોડાજ દિવસ પછી આ અબ્દુલ તથા વસીમે ભેગા મળી તાડપત્રી ગેંગના ડ્રાઇવર તરીકે કામ કરતા સંજયભાઇ બળદેવભાઇ ઠાકોર રહે. વરખડીયા તા.કડી જી.મહેસાણા વાળા પાસે બજાણા પાસેથી જૈન યાત્રાળુ ઓના સંઘ માં સાથે આવેલી ટવેરા ગાડીનો ડ્રાઇવર આઘો-પાછો થતા આ ગાડીની ચોરી કરાવડાવેલી તથા અબ્દુલે ત્યાંરબાદ આ સંજય ને પોતાની હોટલે રાખી આ મરણજનાર દિલીપભાઇ ની દિનચર્યા જાણી આ સંજય ને દિલીપભાઇ રોજ સવારે આઠ-નવ વાગ્યા વચ્ચે પોતાના માંડલ ખાતેના ઘરથી પેટ્રોલપંપ જાય ત્યાંરે આ ગાડીથી ટક્કર મારી દેવા તથા આ કામ પેટે પોતે પાંચલાખ રૂપિયા આપશે તેવું જણાવતા આ સંજય તૈયાર થઇ ગયેલો અને બનાવના દિવસે વહેલી સવારે અબ્દુલ, સંજય, અબ્દુલ નો પુત્ર એઝાઝ તથા વસીમ આ ચોરીની ટવેરા ગાડીમાં માંડલ ત્રણ રસ્તા પાસે ગોઠવાઇ ગયેલા. અને જ્યાંરે આ દિલીપભાઇ ત્યાંથી મોટરસાઇકલ લઇ નીકળ્યા ત્યાંરે તેમના મોટરસાઇકલ ને પાછળથી ટક્કર મારી ભાગી ગયેલા અને ત્યાંરબાદ આ અબ્દુલ તથા તેના પુત્રો જાણે કાંઇજ બન્યુ નથી તે રીતે પાછા માંડલ આવી ગયેલા.
પરંતુ ઉંડા વિશ્લેષણ અને ખંતપૂર્વક ની તપાસના અંતે આ ગુન્હાના કામે તેઓને આજરોજ પકડી પાડવામાં અમદાવાદ ગ્રામ્યની એસ.ઓ.જી. ટીમને સફળતા મળેલ છે.
આમ સપ્તાહ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એસ.ઓ.જી ધ્વારા ખુન કેસના ગુનાહીત માનસ ધરાવતા આરોપીને પકડી પાડી વણ શોધાયેલ ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(નિર્લિપ્તરાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|